કોરોના સામેની લડાઈના મોરચે રાહતના સમાચાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને મંગળવારે ડૉ. હર્ષવર્ધન (જીઓએમ)ની બેઠકમાં કહ્યું કે, જાન્યુઆરી 2021 સુધી દેશમાં એકથી વધુ કંપનીઓની વેક્સિન આવી જશે. આજની બેઠકમાં વેક્સિનની ઉપલબ્ધતા અને તેના વિતરણ સાથે સંકળાયેલા વ્યૂહ મુદ્દે ચર્ચા થઈ.
આ અંગે હર્ષવર્ધને કહ્યું કે, જુલાઈ 2021 સુધી દેશના 20થી 25 કરોડ નાગરિકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. વેક્સિનની સંભવિત ઉપલબ્ધતા જોતા નિષ્ણાતો તેના વિતરણની યોજના પર કામ કરી રહ્યા છે, જેથી પ્રાથમિકતા ધરાવતા વર્ગને વેક્સિન આપી શકાય. આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રખાશે. દુનિયાના વિવિધ દેશો, જેમ કે, અમેરિકા કેવી રીતે વેક્સિનના વિતરણનું આયોજન કરી રહ્યું છે તે પણ અમે સમજી રહ્યા છીએ. અમારા નિષ્ણાતોની ટીમ તેના પર નજર રાખી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ‘હાલ વેક્સિનની કિંમત અંગે કશું કહી ના શકાય. અનેક કંપની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. એકથી વધુ કંપનીઓની વેક્સિન ભારતમાં આવે છે, તો તેના બે ફાયદા થશે. પહેલો- વેક્સિનની અછત નહીં સર્જાય અને બીજો- તેની કિંમત પણ ઓછી હશે!’
2 લાખ એએનએમ, 9 લાખ આશા વર્કર, 12 લાખ આંગણવાડી સેવિકાઓ ઘેર-ઘેર વેક્સિન પહોંચાડશે
વેક્સિન વિતરણ અંગે કેન્દ્રમાં વેક્સિન એડમિનિસ્ટ્રેશન કમિટી બનાવાઇ છે. તેના સબ-ગ્રૂપ બની ચૂક્યાં છે. તેમાં સતત તૈયારીઓ અંગે ચર્ચા થઇ રહી છે. રાજ્યો પાસેથી પણ સૂચનો મંગાવાયા છે કે તેઓ પહેલા કયા વયજૂથને વેક્સિન આપવા ઇચ્છે છે? અત્યાર સુધીની તૈયારીઓ આ પ્રમાણે છે...
વેક્સિન આ રીતે ગામેગામ પહોંચશે
- નેશનલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાતી કોલ્ડ ચેન ઉપરાંત વેક્સિન આપતી ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરાઇ ચૂકી છે. મતલબ કે પ્રાઇવેટ પ્લેયર્સની પણ મદદ લેવાશે.
- કમિટીના વડા ડૉ. વી. કે. પોલે જણાવ્યું કે ઉપલબ્ધ સંસાધનો ઉપરાંત પણ જરૂર પડશે. તેની સમીક્ષા કરીને તૈયારીઓ ચાલી રહી છે.
- ડૉ. પોલનો દાવો છે કે અંતિમ વ્યક્તિ સુધી વેક્સિન પહોંચાડવામાં તકલીફ નહીં પડે, કેમ કે રસીકરણ કાર્યક્રમ વર્ષોથી ચાલી રહ્યા છે. જોકે, તેમાં અમુક જરૂરી સુધારા કરાઇ રહ્યા છે.
- ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત કરાઇ રહ્યું છે, જેથી દરેક કોલ્ડ સેન્ટર પર કેટલી વેક્સિન છે તે રિયલ ટાઇમમાં કંટ્રોલ રૂમમાં બેસીને જાણી શકાશે.
સિરિન્જ ઉત્પાદન વધારવા નિર્દેશ
- જુલાઇ, 2021 સુધીમાં 25 કરોડ લોકોને વેક્સિન આપવાની તૈયારી છે. દરેક વ્યક્તિને 2 ડોઝ આપવા 50 કરોડ સિરિન્જની જરૂર પડશે.
- દેશમાં હાલ દર વર્ષે 0.5 મિ.લી.વાળી 100 કરોડ સિરિન્જ બને છે. જૂન, 2021 સુધીમાં ઉત્પાદન વધારીને 140 કરોડે પહોંચાડવા ઉત્પાદકો સાથે બેઠકો જારી છે. તેમને તેવો નિર્દેશ અપાયો છે.
- ભારત સિરિન્જ મામલે બીજા દેશોની જરૂરિયાતો પણ પૂરી કરે છે. તેથી કોરોના કાળમાં નિકાસ રોકવી પણ શક્ય નહીં હોય. સ્વાભાવિક છે કે ઉત્પાદન વધારીને જ સમસ્યા ઉકેલી શકાશે.
- દેશભરમાં 2 લાખ એએનએમ (ઓગ્ઝીલરી નર્સ મિડવાઇફરી), 9 લાખ આશા વર્કર અને અંદાજે 12 લાખ આંગણવાડી સેવિકાઓ છે. સરકાર તેમની મદદથી જ વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવશે.
25 વેક્સિન બીજા-ત્રીજા તબક્કામાં
દુનિયામાં 200 વેક્સિન બની રહી છે. 92 પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ અને 44 માણસો પર ટ્રાયલના તબક્કામાં છે. 25 વેક્સિન ટ્રાયલના બીજા-ત્રીજા તબક્કામાં છે. તેમાં ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા અને ઓક્સફોર્ડ-સીરમ ઈન્સ્ટિટ્યુટ એમ ત્રણ ભારતીય કંપનીનો પણ સમાવેશ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3nNBxhz

0 ટિપ્પણીઓ